

Updated: Oct 14th, 2023
– કોઈપણ ફિલ્મ ખાનગી એન્ટ્રી તરીકે જઈ શકે
– અક્ષયની ફિલ્મ એક દિવસમાં ૧૫ કરોડ કમાતી, આ ફિલ્મ સપ્તાહમાં માંડ 18 કરોડે પહોંચી
મુંબઇ : અક્ષય કુમારની સુપરફલોપ ફિલ્મ ‘મિશન રાણીગંજ’ના પ્રચાર માટે નવાં તિકડમ તરીકે આ ફિલ્મને ઓસ્કર એવોર્ડમાં ખાનગી એન્ટ્રી તરીકે મોકલવાની જાહેરાત કરવામાં આવી છે.
અક્ષય કુમાર ની ફિલ્મો સામાન્ય રીતે રીલીઝ થવાના પહેલા જદિવસે ૧૫ કરોડ રુપિયા કમાતી હતી. જોકે, મિશન રાણીગંજ એક અઠવાડિયામાં ડચકાં ખાતી ખાતી માંડ ૧૮ કરોડના વકરા સુધી પહોંચી શકી છે. તે પણ તેની સામે કોઈ મજબૂત ફિલ્મોની સ્પર્ધા નહીં હોવાથી આટલી પણ કમાણી થઈ છે. ે હજુ પણ થોડા દિવસો સુધી આ ફિલ્મ સામે કોઈ સ્પર્ધા નથી એટલે થોડો વધુ વકરો કરી શકે તેમ છે.
ફિલ્મ સર્જકો દ્વારા એવો પ્રચાર કરવામાં આવી રહ્યો છે કે કોઈ ફિલ્મ ઓસ્કર માટે મોકલાય એ જાણે કોઈ મોટી સિદ્ધિ હોય. વાસ્તવમાં દરેક દેશ પોતાની સત્તાવાર એન્ટ્રી તરીકે એક ફિલ્મ મોકલે તે પછી કોઈપણ નિર્માતા ચોક્કસ શરતોને આધીન રહીને પોતાની ફિલ્મ ખાનગી એન્ટ્રી તરીકે મોકલી શકે છે. ઓસ્કરમાં એન્ટ્રી તરીકે કોઈ ફિલ્મ સબમીટ થાય એ તેની ગુણવત્તા કે સફળતાનો માપદંડ નથી. એક જાહેર સ્પર્ધામાં ભાગ લેવા જેવી જ સામાન્ય ઘટના છે.
ઉલ્લેખનીય છે કે, ઓસ્કાર એવોર્ડ્સ માટે દેશની ઓફિશિયલ એન્ટ્રી મલયાલમ ફિલ્મ ૨૦૧૮ છે, જેની ઘોષણા થોડા દિવસો પહેલા જ કરવામાં આવી છે.