રાજ્યાભિષેકના 350 વર્ષ પૂર્ણ થવા પર પીએમ મોદીએ કહ્યું, ‘શિવાજીએ ગુલામીની માનસિકતાનો અંત લાવ્યો’


છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેકના 350 વર્ષ પૂર્ણ થયા

આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને સંબોધિત કર્યા

Updated: Jun 2nd, 2023

આજે છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેકની 350મી વર્ષગાંઠ છે. તે નિમિતે વડાપ્રધાન મોદીએ અભિનંદન સંદેશ આપ્યો હતો. તેમણે કહ્યું કે, આજનો દિવસ સમગ્ર મહારાષ્ટ્રમાં તહેવાર તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. જ્યારે છત્રપતિ શિવાજી મહારાજનો રાજ્યાભિષેક થયો ત્યારે તેમાં સ્વરાજનો પડકાર અને રાષ્ટ્રવાદનો ઉલ્લાસ હતો. આજે છત્રપતિ શિવાજી મહારાજના વિચારોનું પ્રતિબિંબ એક ભારત શ્રેષ્ઠ ભારતની દ્રષ્ટિમાં જોઈ શકાય છે.

રાષ્ટ્રીય કલ્યાણ અને જન કલ્યાણ શિવાજી મહારાજના શાસનના મૂળભૂત તત્વો

 તેમણે કહ્યું કે, છત્રપતિ શિવાજી મહારાજનો રાજ્યાભિષેક દિવસ નવી ચેતના, નવી ઉર્જા લઈને આવ્યો છે. છત્રપતિ શિવાજી મહારાજનો રાજ્યાભિષેક એ સમયનો અદ્ભુત અને વિશેષ પ્રકરણ છે. રાષ્ટ્રીય કલ્યાણ અને જન કલ્યાણ તેમના શાસનના મૂળભૂત તત્વો રહ્યા છે. આજે હું છત્રપતિ શિવાજી મહારાજના ચરણોમાં પ્રણામ કરું છું.

ભારતે નૌકાદળને ગુલામીમાંથી મુક્ત કરાવ્યું

શિવાજીની શાસન પ્રણાલી અને નીતિઓને આજે પણ પ્રાસંગિક ગણાવતા પીએમ મોદીએ તેમની વ્યૂહાત્મક ક્ષમતાની પણ પ્રશંસા કરી હતી. પીએમએ કહ્યું કે, ભારતની ક્ષમતાને ઓળખીને, શિવાજીએ જે રીતે નૌકાદળનો વિસ્તાર કર્યો તે આજે પણ આપણને પ્રેરણા આપે છે. આપણી સરકારનું સૌભાગ્ય છે કે ગયા વર્ષે છત્રપતિ શિવાજી મહારાજ પાસેથી પ્રેરણા લઈને ભારતે નૌકાદળને ગુલામીમાંથી મુક્ત કરાવ્યું. બ્રિટિશ શાસનની ઓળખ શિવાજી મહારાજની શાહી મહોરથી બદલી નાખવામાં આવી છે.

Leave a comment