રેલ્વે બોર્ડે જણાવ્યો બાલાસોર ટ્રેન અકસ્માતનો સંપૂર્ણ ઘટનાક્રમ, વાંચો કેવી રીતે થયો અકસ્માત


ઓડિશાના બાલાસોરમાં થયેલ ભયંકર ટ્રેન દુર્ઘટનાને લઈને રેલવે બોર્ડે પ્રેસ કોન્ફરન્સ કરીને સમગ્ર ઘટનાનો ખુલાસો કર્યો છે. રેલવે બોર્ડના સભ્ય જયા વર્માએ કહ્યું કે, માત્ર કોરોમંડલ એક્સપ્રેસ જ અકસ્માતનો ભોગ બની હતી. અમે કેટલીક ગેરસમજો વિશે માહિતી આપવા માંગીએ છીએ, જેથી લોકોને સ્થિતિ સ્પષ્ટ થાય. 

કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેનની સંપૂર્ણ માહિતી 

તેમણે કહ્યું કે, બાલાસોર જિલ્લામાં બહાનાગા બજાર રેલ્વે સ્ટેશન છે. આ ઘટના 2 જૂને સાંજે 6.55 કલાકે બની હતી. કોરોમંડલ એક્સપ્રેસનો અકસ્માત થયો હતો. આ સ્ટેશન પર ઉભેલી અન્ય  ટ્રેનો તેની લપેટમાં આવી ગઈ હતી. તે સમયે સ્ટેશનથી જુદી જુદી દિશામાં બે મેલ એક્સપ્રેસ ટ્રેનો પસાર થવાની હતી. સ્ટેશન પર બે મુખ્ય લાઇન છે, જ્યાં ટ્રેનને ઉભી રાખ્યા વગર ચાલવામાં આવે છે અને અડીને બે લાઇન આવેલી હોય છે જેને લૂપ લાઇન કહેવામાં આવે છે, જ્યાં ટ્રેનને રોકવામાં આવે છે.

યશવંતપુર એક્સપ્રેસ બેંગ્લોરથી આવી રહી હતી

રેલ્વે બોર્ડના જણાવ્યા અનુસાર, લૂપ લાઇન પર 2 ટ્રેન ઉભી હતી, ટ્રેનોને ત્યાં રોકી દેવામાં આવી હતી જેથી બાકીની લાઇન પર નોન-સ્ટોપ ટ્રેન પસાર થઈ શકે. યશવંતપુર એક્સપ્રેસ બેંગ્લોરથી આવી રહી હતી. આ ટ્રેન કોરોમંડલની થોડીક સેકન્ડ પહેલા આવી રહી હતી.

ઓવરસ્પીડિંગનો કોઈ પ્રશ્ન જ નથી 

કોરોમંડલ એક્સપ્રેસ શાલીમાર રેલ્વે સ્ટેશનથી હાવડા દિશામાંથી ચેન્નાઈ જવા માટે આવી રહી હતી, જેના માટે સિગ્નલ ગ્રીન હતા અને બધું સેટ થઈ ગયું હતું. ઓવરસ્પીડિંગનો કોઈ પ્રશ્ન જ ન હતો અને પાયલોટ સિગ્નલ ગ્રીન જોઈ રહ્યો હતો, તેથી તેણે સીધું જવું પડ્યું.

પાયલોટે સિગ્નલ ગ્રીન જોઈને સીધું જ જવું પડ્યું હતું

ગ્રીન સિગ્નલ મુજબ ડ્રાઇવરે તેની નિયત સ્પીડ પ્રમાણે રોકાયા વગર જ આગળ વધવું પડ્યું હતું તેથી તે 128 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જઈ રહ્યો હતો. યશવંતપુર એક્સપ્રેસ પણ 126 કિમી પ્રતિ કલાકની ઝડપે આવી રહી હતી. પાયલોટે સિગ્નલ ગ્રીન જોઈને સીધું જ જવું પડ્યું હતું.

રેલ્વે મંત્રી 36 કલાક સ્થળ પર છે, બચાવ કાર્ય પર નજર રાખી રહ્યા છે

રેલ્વે બોર્ડના સભ્યએ કહ્યું કે, રેલ્વે મંત્રી છેલ્લા 36 કલાકથી સ્થળ પર છે અને તમામ કામગીરી પર નજર રાખી રહ્યા છે અને બચાવ કામગીરીમાં મદદ કરી રહ્યા છે. પ્રાથમિક તપાસ મુજબ અત્યાર સુધી જે કારણો સામે આવ્યા છે. સિગ્નલિંગમાં સમસ્યા જોવા મળી છે અને રેલવે સુરક્ષા કમિશનરની દેખરેખ હેઠળ તપાસ ચાલી રહી છે. જ્યાં સુધી તેમની તપાસ પૂરી ન થાય ત્યાં સુધી અમે વધુ કહી શકીએ એમ નથી.

કમિશનર ઓફ રેલ્વે સેફ્ટીના વિગતવાર અહેવાલની રાહ 

રેલવે બોર્ડે કહ્યું કે, અમે રેલવે સુરક્ષા કમિશનરના વિગતવાર અહેવાલની રાહ જોઈ રહ્યા છીએ. અકસ્માત માત્ર કોરોમંડલ એક્સપ્રેસનો જ થયો હતો, જેને બધાએ સમજવાની જરૂર છે. તે કહેવું ખોટું હશે કે, એક કરતા વધુ ટ્રેનો એકબીજા વચ્ચે ટકરાઈ. કયા કારણોસર આ થયું એ અંગે હજુ તપાસ કરી રહ્યા છીએ.

લોખંડથી ભરેલી માલગાડી ટ્રેન સાથે કોરોમંડલ એક્સપ્રેસ અથડાતા આટલું નુકશાન 

જયા વર્માએ કહ્યું કે, કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન ખૂબ જ સુરક્ષિત છે અને સામાન્ય રીતે તે પલટી જતી નથી. આ કિસ્સામાં, એવું બન્યું છે કે આ ઝડપે, જ્યારે ટ્રેનની ટક્કર થઇ, ત્યારે દુનિયામાં એવી કોઈ તકનીક નથી, જે તેની અસરને રોકી શકે. લોખંડથી ભરેલી માલગાડીના ગુરુત્વાકર્ષણ કેન્દ્ર અને તેના વજનને કારણે તેની અસર પેસેન્જર ટ્રેન પર પડી. માલગાડી પોતાની જગ્યાએથી બિલકુલ ખસતી ન હતી.

અથડાયા બાદ ટ્રેનના ડબ્બા અહીં-ત્યાં વિખરાયેલા છે

રેલવે બોર્ડના એક સભ્યએ જણાવ્યું કે, ટક્કરને કારણે ટ્રેનના ડબ્બા અહીં-ત્યાં વેરવિખેર થઈ ગયા હતા. જેના કારણે ડાઉન લાઈનમાં પસાર થઈ રહેલી યશવંતપુર એક્સપ્રેસ સાથે કેટલાક ડબ્બા અથડાયા હતા. જેના કારણે યશવંતપુર એક્સપ્રેસના કેટલાક ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. 

Leave a comment