વીર સાવરકરની બાયોપિક સામે નેતાજીના વંશજોને વાંધો

વીર સાવરકરની બાયોપિક સામે નેતાજીના વંશજોને વાંધો


Updated: May 31st, 2023


– ઈતિહાસ  સાથે ચેડાં નહીં કરવા અપીલ

– સાવરકર બહુ મહાન વ્યક્તિ પરંતુ નેતાજીએ તેમના પરથી પ્રેરણા લીધાની વાત ખોટી

મુંબઇ : રણદીપ હુડા અભિનિત ફિલ્મ ‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’નું ટીઝર રીલીઝ થતાંની સાથે જ વિવાદ શરુ થયો છે. નેતાજી સુભાષચન્દ્ર બોઝના વંશજોએ આ ફિલ્મમાં તથ્યો સાથે ચેડાં કરવામાં આવ્યાં હોવાની આશંકા વ્યક્ત કરી તેમાં આવશ્યક સુધારા કરવાની  અપીલ કરી છે. તેમણે જણાવ્યું હતું કે વીર સાવરકર માટે તેમને પૂરેપૂરો આદર છે અને તેઓ એક મહાન વ્યક્તિ હતા તેમાં બેમત નથી પરંતુ ઈતિહાસના તથ્યો સાથે કોઈ ચેડાં થવાં જોઈએ નહીં. 

આ ફિલ્મના પ્રમોશનમાં એવું જણાવાયું છે કે વીર સાવરકર પરથી નેતાજી સુભાષચન્દ્ર બોઝે પ્રેરણા લીધી હતી. આ મુદ્દે નેતાજીના પ્રપૌત્ર ચન્દ્રકુમાર બોઝે જણાવ્યું હતું કે વાસ્તવમાં બ્રિટિશ શાસનમાં જો કોઈ સૌથી મોસ્ટ વોન્ટેડ સ્વાતંત્ર્ય સેનાની હોય તો તે નેતાજી હતી. તેમના માટે બ્રિટેશ શાસને શૂટ એટ સાઈટના ઓર્ડર બહાર પાડયા હતા. 

ચન્દ્રકુમાર બોઝે જણાવ્યું હતું કે ખુદ નેતાજીએ કરેલા ઉલ્લખ અનુસાર સ્વામી વિવેકાનંદ અને દેશબંધુ ચિતરંજન દાસ તેમના પ્રેરણાસ્વરુપ હતા. નેતાજી અને વીર સાવરકર બિલકુલ અલગ રાજકીય વિચારધારા ધરાવતા હતા. આથી, નેતાજી પોતાના કરતાં અલગ વિચારધારા ધરાવતા સાવરકરની વિચારધારાને શા માટે અનુસરે કે તેમના પરથી શા માટે પ્રેરણા લે તે એક સવાલ છે.  

Leave a comment