

Updated: Oct 7th, 2023
– રણવીર અને આલિયા સાથે સ્ક્રીન શેર કરશે
– અભિનેત્રીએ ફિલ્મ સાઈન કરી લીધી હોવાની ચર્ચા જોકે, હજુ સુધી કોઈ સત્તાવાર ઘોષણા નહીં
મુંબઈ : સંજય લીલા ભણશાળીની ‘બૈજુ બાવરા’માં કિયારા અડવાણીની પણ એન્ટ્રી થઈ હોવાનું ચર્ચાય છે. આ અંગે જોકે, હજુ કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી.
કિયારાએ ફિલ્મ ઓલરેડી સાઈન કરી લીધી છે અને તેના માટે તૈયારી પણ શરુ કરી દીધી છે તેવો દાવો કરવામાં આવ્યો છે. આ ફિલ્મના મુખ્ય કલાકારોમાં આલિયા ભટ્ટ તથા રણવીર સિંહનો સમાવેશ થાય છે. કિયારા પણ આ ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં હોવાની સંભાવના છે.
જોકે, કિયારા કે સંજય લીલા ભણશાળી તરફથી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ નથી.
અગાઉ, બૈજુ બાવરામાં કાસ્ટિંગ બાબતે ચર્ચા શરુ થઈ હતી ત્યારે સંજય લીલા ભણશાળીની ટીમમાંથી એવું કહેવાયું હતું કે આ બધી અફવાઓ છે. અમે ફિલ્મ બાબતે યોગ્ય સમયે સત્તાવાર જાહેરાત કરશું.
સંજય લીલા ભણશાળી લાંબા સમયથી ‘બૈજુ બાવરા’નું પ્લાનિંગ કરી રહ્યા છે. આલિયા ભટ્ટ તેમાં મુખ્ય ભૂમિકા ભજવશે તે પણ અગાઉથી નક્કી છે. આલિયાની ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ પછી સંજય લીલા ભણશાળી સાથેની આ બીજી ફિલ્મ હશે. જ્યારે રણવીર આ અગાઉ સંજય લીલા ભણશાળીની ‘ગોલીયોં કી રાસલીલા, રામલીલા’ તથા ‘પદ્માવત’માં કામ કરી ચૂક્યો છે.
સંજય લીલા ભણશાળી બોલીવૂડના ગોલ્ડન યુગની ‘બૈજુ બાવરા’ની રિમેક બનાવી રહ્યા છે. જોકે, આ ફિલ્મમાં મૂળ ફિલ્મ જેવો સેમી ક્લાસિકલ મ્યુઝિકનો ટચ હશે કે કેમ તે અંગે અટકળો સેવાય છે.