સલમાન-અરિજિતની મિત્રતા પાક્કી: ‘ટાઈગર’ માટે અરિજિત સિંહે ગાયુ પહેલુ ગીત ‘લેકે પ્રભુ કા નામ’

સલમાન-અરિજિતની મિત્રતા પાક્કી: ‘ટાઈગર’ માટે અરિજિત સિંહે ગાયુ પહેલુ ગીત ‘લેકે પ્રભુ કા નામ’


Updated: Oct 19th, 2023

Image Source: Twitter

– અરિજિત સાથે સલમાનની નારાજગી વર્ષ 2014માં શરૂ થઈ હતી

નવી દિલ્હી, તા. 19 ઓક્ટોબર 2023, ગુરૂવાર

શું સલમાન ખાન અને અરિજીત સિંહ વચ્ચેનો ઝઘડો હવે ખતમ થઈ ગયો છે? આ સવાલ છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં છે. અરિજિત સિંહ એ બોલીવુડ સિંગર છે જેણે આમિર ખાન, અક્ષય કુમાર અને રણવીર સિંહ જેવા ઘણા સ્ટાર્સ માટે પ્લેબેક સિંગિંગ કરીને લોકોના દિલ પર રાજ કર્યું છે. પરંતુ તેણે માત્ર સલમાન ખાન માટે કોઈ ગીત નથી ગાયું. તેની પાછળનું કારણ બંને વચ્ચેનો વિવાદ હતો. પરંતુ હવે આ વિવાદનો 9 વર્ષ પછી અંત આવી ગયો છે. જેનું એલાન ખુદ ‘ટાઈગરે’ કર્યું છે.

અરિજીત સિંહ અને સલમાન ખાન વચ્ચે મિત્રતાના સમાચાર પાક્કા છે. સલમાન ખાને આ સસ્પેન્સનો અંત આણી મહોર લગાવી દીધી છે કે, હવે બંને વચ્ચેની લડાઈ ખતમ થઈ ગઈ છે. આ મિત્રતાની સાથે અરિજિતે પહેલીવાર સલમાન માટે ગીત પણ ગાયું છે જેની પહેલી ઝલક ખુદ અભિનેતાએ શેર કરી છે.

સલમાન ખાને ખાસ અંદાજમાં કર્યું દોસ્તીનું એલાન

સલમાન ખાને જે પોસ્ટ સાથે આ મિત્રતાનું એલાન કર્યું છે. તેમાં, કેટરિના કૈફ રસપ્રદ રેડ ફેડર આઉટફિટમાં સલમાન ખાન સાથે પોઝ આપતી નજર આવી રહી છે. ફિલ્મના પોસ્ટરની સાથે સલમાને ફની અંદાજમાં કેપ્શન પણ લખ્યું છે. તેણે લખ્યું- ‘પહેલા ગીતની પહેલી ઝલક, #LekePrabhuKaNaam! ઓ…હા…મારા માટે આ અરિજીત સિંહનું પહેલું ગીત.

ક્યારે રિલીઝ થશે આ ગીત?

આ સાથે અભિનેતાએ જણાવ્યું કે ફિલ્મનો આ ટ્રેક 23 ઓક્ટોબરે રિલીઝ થવા જઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે, ટાઈગર 3 એ ‘ટાઈગર’ ફ્રેન્ચાઈઝીનો ત્રીજો ભાગ છે. મનીષ શર્મા દ્વારા નિર્દેશિત ‘ટાઈગર 3’ 12 નવેમ્બરે રિલીઝ થશે.

સલમાન અરિજિત વચ્ચે વિવાદનું કારણ

આ પહેલીવાર છે જ્યારે સિંગર અરિજીત સિંહે સલમાન ખાન માટે ગીત ગાયુ છે. અગાઉ, સુપરસ્ટારે ગાયકને સંપૂર્ણપણે બ્લેકલિસ્ટ કરી દીધો હતો. અરિજિત સાથે સલમાનની નારાજગી વર્ષ 2014માં શરૂ થઈ હતી. સલમાન ખાન એક એવોર્ડ શો હોસ્ટ કરી રહ્યો હતો અને તેમાં અરિજીત સિંહે એવોર્ડ જીત્યો હતો. સમારોહ દરમિયાન સ્ટેજ પર બે સ્ટાર્સ વચ્ચેની મશ્કરી અહંકારના યુદ્ધમાં ફેરવાઈ ગઈ હતી.

Leave a comment