

બાલાસોરમાં ભયંકર ટ્રેન અકસ્માતમાં જીવતા બચી ગયેલા એક યાત્રીએ ઘટનાની આપવીતી વર્ણવી
Updated: Jun 3rd, 2023
![]() ![]() |
image : Twitter |
ઓડિશાના બાલાસોરમાં ભયંકર ટ્રેન અકસ્માતમાં જીવતા બચી ગયેલા એક યાત્રીએ ઘટનાની આપવીતી વર્ણવી હતી. મીડિયા સાથેની વાતચીતમાં તેણે જણાવ્યું કે કેવી રીતે આ ઘટનામાં તેનો જીવ બચ્યો અને આપણા રેલવે તંત્રની હાલત કેવી છે તે વિશે પણ તેણે માહિતી આપી.
કોરોમંડલ એક્સપ્રેસમાં મુસાફરી કરી રહ્યો હતો
આ યાત્રી શાલીમાર-ચેન્નઈ સેન્ટ્રલ કોરોમંડલ એક્સપ્રેસમાં મુસાફરી કરી રહ્યો હતો. આ ટ્રેન બહાનાગા બજાર ખાતે બાલાસોર તથા સોરો સ્ટેશન વચ્ચે સાંજે ૭ વાગ્યે પલટી ખાઈ ગઇ હતી. એક વીડિયોમાં આ યુવક કહે છે કે જ્યારે આ દુર્ઘટના થઈ ત્યારે હું સૂઈ રહ્યો હતો. જ્યારે આંખ ખુલી જોયું કે મારી ઉપર ૧૦થી ૧૫ લોકો પડ્યા હતા. મને હાથમાં ગંભીર ઈજા થઇ હતી. ગળામાં પણ વાગ્યું હતું. અનેક લોકો ઘવાયા તો અનેક મૃત્યુ પામી ચૂક્યા હતા.
અનેક લોકોની દયનીય હાલત થઈ હોવાની આપી માહિતી
તેણે જણાવ્યું કે તે કેવી રીતે આ દુર્ઘટના બાદ બહાર આવ્યો હતો. અનેક લોકોના હાથ કપાઈ ગયા હતા તો અનેકના પગ કપાઈ ગયા હતા. અનેકને ચહેરા પર ઈજાઓ થઈ હતી તો અનેકના ચહેરા છુંદાઈ ગયા હતા. આ દરમિયાન યુવકે રિઝર્વેશન કોચની તુલના જનરલ ડબા સાથે કરતા કહ્યું હતું કે આપણા રેલવે તંત્રની એવી હાલત છે કે રિઝર્વેશન ડબો હોય તો પણ તેમાં ખીચોખીચ ટિકિટ વગરના લોકોને પણ બેસાડી દેવામાં આવે છે.