Cyclone BIPARJOY Updates: ગુજરાતમાં વાવાઝોડાની અસર દેખાવા લાગી, અમરેલીના દ્રશ્યો આવ્યા સામે

Cyclone BIPARJOY Updates: ગુજરાતમાં વાવાઝોડાની અસર દેખાવા લાગી, અમરેલીના દ્રશ્યો આવ્યા સામે


દેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં બિપરજોય ચક્રવાતનો ખતરો છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, ચક્રવાત આગામી 48 કલાક એટલે કે શનિવાર સુધીમાં ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જશે. તેમજ આગામી ત્રણ દિવસ દરમિયાન તે ઉત્તર ભારત તરફ આગળ વધશે.

અમરેલીમાં વાવાઝોડાની વર્તાઈ અસર  

અમરેલી કલેક્ટર અજય દહિયાએ જણાવ્યું હતું કે, તંત્ર દ્વારા તમામ તૈયારી કરી દેવાઈ છે. રાજુલા અને જાફરાબાદના દરિયાઈ વિસ્તારમાં અમારી ટીમ એક્ટિવ છે. 12 તારીખ સુધીમાં પવનની સ્પીડ પ્રતિકલાક 55 કિ.મી સુધી થશે. પીપાવાવ કોસ્ટગાર્ડ વહીવટીતંત્ર દરિયાકિનારે સીધી નજર રાખી રહ્યું છે.

મહીસાગરમાં વૃક્ષો ધરાશાયી થયા 

આજે મહીસાગરમાં બિપોરજોય વાવાઝોડાની આગાહી વચ્ચે ભારે પવન ફૂંકાવવાને કારણે વૃક્ષો ધરાશાયી થયા છે. ખાનપુર લીમડીયા હાઈવે પર વૃક્ષો ધરાશાયી થયા છે. વૃક્ષો ધરાશાયી થવાને કારણે હાઈવે બ્લોક થયો છે તેમજ અનેક વિસ્તારમાં રસ્તાઓ બંધ થયા હતાં. જો કે, વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક રસ્તાઓ શરૂ કરવાની કામગીરી હાથ ધરી હતી.

ગુજરાતમાં તમામ અધિકારીઓને સ્થળ પર હાજર રહેવાની સુચના અપાય 

ગુજરાતમાં તરફ વધી રહેલું વાવાઝોડું બિપોરજોય હાલ પોરબંદરથી 930 કિમી દૂર છે. આ વાવાઝોડાને પગલે ગુજરાતમાં તંત્ર સતર્ક થઈ ગયુ છે અને તમામ અધિકારીઓને સ્થળ પર હાજર રહેવા સુચના આપી દેવામાં આવી છે. જિલ્લાના તમામ બંદર પર ભયજનક 2 નંબરનું સિગ્નલ આપી દેવામાં આવ્યુ છે. આ સાથે લોકોને દરિયાકાંઠે ન જવા તેમજ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં   આવી છે. વાવાઝોડાના પગલે NDRF તેમજ SDRFની ટીમ પણ એલર્ટ થઈ ગઈ છે.

ગીર સોમનાથના દરિયા માછીમારોને દરિયો ન ખેડવા અપાય સૂચના

ગીર સોમનાથમાં વાવાઝોડાના સંભવિત ખતરાને લઈને તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે તેમજ ગીર સોમનાથના દરિયામાં કરંટ જોવા મળ્યો છે. વેરાવળ, સુત્રાપાડા બંદર પર 2 નંબરનું ભયજનક સિગ્નલ લગાવાયું છે તેમજ દરિયા કાંઠા વિસ્તારના માછીમારોને દરિયા નજીક ન જવાની સૂચના પણ આપી દેવામાં આવી છે. 

જામનગરમાં તંત્ર પણ તંત્ર એલર્ટ 

જિલ્લા કલેકટર શ્રી બી.એ.શાહે જણાવ્યું હતું કે હવામાન વિભાગની આગાહી પ્રમાણે અરબી સમુદ્રમાં બિપરજોય સાયકલોન સિસ્ટમ ડેવલપ થઈ છે. હવામાન વિભાગની આગાહીઓ અને ચેતવણીને અનુરૂપ જિલ્લા વહીવટી તંત્ર જામનગર દ્વારા તે અંગે સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે. જેમાં જિલ્લા તથા તાલુકા મથકના તમામ અધિકારીશ્રીઓને પોતાના હેડક્વાર્ટર પર અચૂક હાજર રહેવા સૂચનાઓ આપવામાં આવી છે તેમજ તમામ બંદરો પર બે નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે અને તમામ માછીમારો તથા બોટને દરિયામાંથી પરત બોલાવી લેવામાં આવી છે. જામનગર ગ્રામ્યના અંદાજિત 12 ગામો, જોડિયા તાલુકાના 8 ગામો તેમજ લાલપુર તાલુકાના 2 મળી કુલ 22 ગામો દરિયાકાંઠે આવેલા છે. જેમાં રહેતા આશરે 76 હજાર જેટલા નાગરિકો માટે જો જરૂર જણાય તો સલામત આશ્રયસ્થાન અંગેની પણ જરૂરી વ્યવસ્થાઓ તેમજ આયોજન સુનિશ્ચિત કરી લેવામાં આવ્યા છે.

જાણો તોફાનનો ટ્રેક કઈ દિશામાં છે? 

હવામાનશાસ્ત્રીઓ કહે છે કે ચક્રવાતનો ટેન્ટેટિવ ​​ટ્રેક ઉત્તર દિશામાં હશે, પરંતુ ઘણી વખત તોફાનો અનુમાનિત ટ્રેક અને તીવ્રતાને ખોટી સાબિત કરે છે. હવામાનની આગાહી કરતી એજન્સીઓએ જણાવ્યું હતું કે આ વાવાઝોડું માત્ર 48 કલાકમાં ચક્રવાતથી ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ રહ્યું છે, જે અગાઉનું આકલન ખોટું સાબિત કરી શકે છે. વાતાવરણની સ્થિતિ સૂચવે છે કે ખૂબ જ ગંભીર ચક્રવાતી તોફાન 12 જૂન સુધી ચાલુ રહેવાની શક્યતા છે.

આ રાજ્યોમાં એલર્ટ

લક્ષદ્વીપ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ચક્રવાતની અસર થવાની સંભાવના છે. IMD એ આ વિસ્તારોમાં આગામી પાંચ દિવસ માટે પવનની ચેતવણી જારી કરી છે. પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર અને પશ્ચિમ-મધ્ય અને દક્ષિણપૂર્વ અરબી સમુદ્રના નજીકના વિસ્તારોમાં પવનની ઝડપ 80-90 kmph થી 100 kmph સુધી પહોંચવાની સંભાવના છે. આ ઉપરાંત, પશ્ચિમ-મધ્ય અને દક્ષિણ અરબી સમુદ્રની આસપાસના વિસ્તારો અને ઉત્તર કેરળ, કર્ણાટક અને ગોવાના દરિયાકાંઠે અને તેની બહારના વિસ્તારો વાવાઝોડાથી સૌથી વધુ પ્રભાવિત થવાની સંભાવના છે.

Leave a comment