

Updated: May 31st, 2023
Image Source: Facebook
મુંબઈ, તા. 31 મે 2023 બુધવાર
અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના સ્ટારર ફિલ્મ પુષ્પા- ધ રાઈઝની સફળતા બાદ હવે ચાહકો તેમની ફિલ્મ પુષ્પા: ધ રુલની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે તાજેતરમાં જ પુષ્પા 2 ને લઈને મોટી જાણકારી સામે આવી છે. સૂત્રો અનુસાર પુષ્પા 2 ના કલાકાર જે બસમાં મુસાફરી કરી રહ્યા હતા તેને અકસ્માત નડ્યો જેમાં બે કલાકાર ઈજાગ્રસ્ત થઈ ગયા છે.
આંધ્રપ્રદેશથી હૈદરાબાદ પુષ્પા-2ની શૂટિંગ કરીને પરત ફરી રહેલી કલાકારોની બસ દુર્ઘટનાનો શિકાર થઈ ગઈ. નલગોંડા હૈદરાબાદ-વિજયવાડા નેશનલ હાઈવે પર નરકટપલ્લીમાં કલાકારોની બસ એક આરટીસી બસ સાથે ટકરાઈ ગઈ. આ ઘટનામાં બે આર્ટિસ્ટને ખૂબ ઈજા પહોંચી જે બાદ ઈજાગ્રસ્ત કલાકારોને સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવાયા. આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લામાં ફિલ્મ પુષ્પા-2ના શૂટિંગ શેડ્યૂલને પૂર્ણ કર્યા બાદ જ્યારે કલાકાર પોતાની ખાનગી બસમાં હૈદરાબાદ જઈ રહ્યા હતા તે દરમિયાન ડ્રાઈવરે કંઈક તકનીકી પ્રોબ્લેમના કારણે પોતાની બસને રોડના કિનારે રોકી દીધી. જાણકારી અનુસાર કલાકારોથી ભરેલી બસના ડ્રાઈવરે આરટીસી બસને નોટિસ કરી નહીં અને તે તેની સાથે ટકરાઈ ગઈ જેના કારણે બે કલાકારોને ઈજા પહોંચી.
ઉલ્લેખનીય છે કે ફિલ્મ ‘પુષ્પા 2’ 2024માં થિયેટરમાં રિલીઝ થશે.