

Updated: May 31st, 2023
Image Source: Freepik
અમદાવાદ, તા. 31 મે 2023 બુધવાર
તંબાકુ અને ધૂમ્રપાનથી થતા નુકસાન પ્રત્યે જનતાને જાગૃત કરવાના હેતુથી દર વર્ષે 31 મે ના દિવસે વર્લ્ડ નો ટોબેકો ડે એટલે કે વિશ્વ તંબાકુ નિષેધ દિવસ મનાવવામાં આવે છે. આનો મુખ્ય હેતુ તંબાકુથી થતા નુકસાનથી સામાન્ય લોકોને જાગૃત કરવાનો છે. વિશ્વ તંબાકુ નિષેધ દિવસના અવસરે દુનિયાભરમાં તંબાકુના સેવનને નાબૂદ કરવા માટે ઘણા પ્રકારના આયોજન થાય છે. જેના હેઠળ જનતાને તંબાકુથી આરોગ્ય સંબંધિત નુકસાન વિશે જાગૃત કરવામાં આવે છે. તંબાકુ જનિત રોગોથી દર વર્ષે લાખો લોકોના મોત નીપજે છે.
વર્લ્ડ નો ટોબેકો ડે 2023 થીમ
આ વર્ષે એટલે કે 2023માં તંબાકુ નિષેધ દિવસની મુખ્ય થીમ વી નીડ ફૂડ નો ટોબેકો છે. એટલે કે અમને ભોજન જોઈએ તંબાકુ નહીં. આ થીમ હેઠળ તંબાકુ ઉત્પાદનના બદલે અન્ય પોષક પાક ઉત્પાદન માટે અભિયાન ચાલશે અને તેમને વિશ્વના મોટા સંસ્થાનોથી મદદ મળશે જેથી તંબાકુનું ઉત્પાદન કરતા ખેડૂત પણ વિશ્વમાં અનાજના વધુ ઉત્પાદનમાં યોગદાન કરી શકે.
જીવલેણ તંબાકુ
WHO અનુસાર વિશ્વમાં લગભગ 80 લાખ લોકો તંબાકુના સેવનથી થતી બીમારીઓના કારણે પોતાનો જીવ ગુમાવી દે છે. પહેલા તંબાકુ નિષેધ દિવસ 7 એપ્રિલે વિશ્વભરમાં મનાવવામાં આવતો હતો જે બાદ 1988માં WHOની તરફથી એક પ્રસ્તાવ બાદ આને 31 મે એ મનાવવાની મંજૂરી આપવામાં આવી. જે બાદથી દર વર્ષે તંબાકુ નિષેધ દિવસ 31 મે એ જ મનાવવામાં આવી રહ્યો છે.
વિશ્વ તંબાકુ નિષેધ દિવસનું મહત્વ
વિશ્વ તંબાકુ નિષેધ દિવસ પર માત્ર તંબાકુ જ નહીં પરંતુ તંબાકુ અને નિકોટીન યુક્ત ઉત્પાદન જેમ કે બીડી, ગુટખા અને સિગારેટના ઉપયોગથી થતી બીમારીઓ વિશે અવગત કરાવવામાં આવે છે. તંબાકુના વધુ સેવન અને વધુ ધૂમ્રપાનથી કેન્સર જેવી જીવલેણ બીમારી શરીરને જકડી લે છે જેના કારણે થતા મોતનો આંકડો સતત વધતો જઈ રહ્યો છે. તંબાકુના સેવનથી મોઢાનું કેન્સર, ગળાનું કેન્સર, ફેફસાનું કેન્સર, અન્નનળીનું સંક્રમણ, મૂત્રાશયનું કેન્સર, આંતરડાનું કેન્સર, કિડનીનું કેન્સર, સ્વાદુપિંડનું કેન્સર અને સર્વિક્સનું કેન્સરનું જોખમ વધી જાય છે. તંબાકુના સેવનથી શ્વાસ સંબંધિત બીમારીઓ જેમ કે શ્વાસનળીનો સોજો અને ઈમ્ફસિયાનું જોખમ વધે છે એટલુ જ નહીં તંબાકુના સતત સેવનથી હૃદય અને લોહી સંબંધિત બીમારીઓ ઝડપથી શરીરને જકડી લે છે.